લોકસભા ચૂંટણીના પરિણામો LIVE: રુઝાનોમાં NDA 300ને પાર, કેન્દ્રમાં 10 વર્ષ પછી આવશે ખીચડી સરકાર
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04062024_031504_Counting 1.webp)
- 04 Jun, 2024
મહીનાઓની તૈયારીઓ અને છ સપ્તાહ સુધી ચાલેલા ચૂંટણી અભિયાન પછી આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાનો સમય આવી ગયો છે. હાલ અંતિમ પરિણામની રાહ જોવાઈ રહી છે. સવારના આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હાલ એનડીએ 150થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે. હાલ વારાણસીથી નરેન્દ્ર મોદી અને રાયબરેલીથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યાં છે. બિહારના શરૂઆતના રુજાનમાં પુર્ણિયાથી પપ્પૂ યાદવ આગળ છે. જ્યારે કારાકાટથી પવન સિંહ પાછળ છે.
દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
હિટવેવ અને ભીષ્ણ ગરમીમાં કદાચ પહેલીવાર આ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સંખ્યાબંધ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ નિધન પામ્યા હતા. ભીષણ ગરમીને જોતા આગામી ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજવી કે કેમ તેના વિશે પણ વિચારણ થઈ શકે. આ ચૂંટણીઓમાં પ્રચારના કોઈ એક મુદ્દાને બદલે દરેક તબક્કામાં અલગ-અલગ મુદ્દા જોવા મળ્યાં હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના રાહુલ ગાંધી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા.
2024ની ચૂંટણીમાં પહેલીવાર વિપક્ષોએ ગઠબંધન બનાવ્યું હતું. કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા એલાયન્સ નામના મોરચાની સ્થાપના કરી હતી અને તેના નેજા હેઠળ કોંગ્રેસ, સપા, આપ વગેરે પાર્ટીએ બેઠકોની સમજૂતી કરી હતી. આ ચૂંટણીમાં એવું પહેલીવાર થયું કે 2014 અને 2019ની જેમ કોઈ પણ વેવ કે મોદી લહેર કે કોઈ એક મુદ્દા પર ચૂંટણીઓ યોજાઈ નથી. કોંગ્રેસે અને સપાએ બંધારણ બચાવોને મુખ્ય મુદ્દો બનાવી અદાણી સહિતના 22 અબજોપતિને નિશાન બનાવ્યા હતા. તો સામે પક્ષે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ સત્તામાં આવશે તો ગરીબ પરિવારોના મંગળસૂત્ર સહિત તમામ છીનવી લેશે અને ઘુસણખોર તથા મુસ્લિમોને આપી દેશે તેવો મુદ્દો ચગાવ્યો હતો. આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદીનું એ રૂપ પણ જોવા મળ્યું કે જેમાં તેમણે એક તબક્કે એમ કહ્યું કે એમનો જ જન્મ જ થયો નથી, તેમને પરમાત્માએ સીધા મોકલ્યા છે. આ ચૂંટણીમાં વિરોધપક્ષોએ મુખ્યપ્રવાહના મીડિયાને પણ નિશાન બનાવી આક્ષેપો કર્યા હતા.
આ ઉપરાંત ગઈ ચૂંટણીની જેમ આ વખતે પણ છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન એકાંતવાસમાં આ વખતે કન્યાકુમારી વિવેકાનંદ મેમોરિયલ રોક ખાતે પહોંચ્યા હતા અને 48 કલાકનું ધ્યાન ધર્યું હતું.